8. ઈશ્વર યુસફ અને તેના પરિવારને બચાવે છે
ઘણાં વર્ષો બાદ, જ્યારે યાકૂબ વૃધ્ધ થયો, તેણે પોતાના પ્રિય પુત્ર યુસફને તેના ભાઈઓ કે જેઓ ઘેટાં ચરાવતા હતા તેઓની ખબર કાઢવા મોકલ્યો.
યુસફના ભાઈઓ તેનો દ્વેષ કરતા હતા કારણ કે તેમના પિતા તેને સૌથી વધુ પ્રેમ કરતા હતા અને યુસફને સ્વપ્ન આવ્યું હતું કે તે તેમના પર અધિકાર ચલાવશે. જ્યારે યુસફ તેના ભાઈઓ પાસે આવ્યો, તેઓએ તેનું અપહરણ કરી લીધું અને તેને કેટલાક ગુલામોના વેપારીઓને વેચી દીધો.
યુસફના ભાઈઓ ઘરે પાછા ફરે તે પહેલા તેઓએ યુસફનો ઝભ્ભો ફાડી નાખ્યો અને તેને બકરાના લોહીમાં ડબોળ્યો. ત્યારબાદ તેમણે તે ઝભ્ભો તેઓના પિતાને બતાવ્યો કે તેઓ એવું ધારે છે કે જંગલી પ્રાણીએ યુસફને મારી નાખ્યો છે. યાકૂબ ઘણો દુ:ખી થયો.
ગુલામોના વેપારીઓ યુસફને મિસરમાં લઈ ગયા. મિસર મોટો અને શક્તિશાળી દેશ હતો અને તે નાઈલ નદીના કાંઠે આવેલો હતો. ગુલામોના વેપારીઓએ યુસફને ધનવાન સરકારી અધિકારીને ત્યાં વેચી દીધો. યુસફે તેના માલિકની ખૂબ જ સારી રીતે સેવા કરી અને ઈશ્વરે યુસફને આશીર્વાદ દીધા.
તેના માલિકની પત્નીએ યુસફ સાથે ઊંધવા ચાહ્યું, પરંતુ યુસફે આ રીતે ઈશ્વર વિરૂધ્ધ પાપ કરવાનું નકારી કાઢ્યું. તેણી ખૂબજ ક્રોધે ભરાઈ અને તેણે યુસફ ઉપર ખોટો આરોપ મુક્યો જેથી તેની ધરપકડ કરવામાં આવે અને તેને કેદમાં નાંખવામાં આવે. કેદખાનામાં પણ યુસફ ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહ્યો અને ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો.
જો કે તે નિર્દોષ હતો તો પણ, બે વર્ષ બાદ પણ યુસફ જેલમાં જ હતો. એક રાત્રે, ફારૂન કે જેને મિસરીઓ તેમનો રાજા માનતા હતા, તેને બે સ્વપ્નો આવ્યા. તેથી તે ખૂબ જ બેચેન બની ગયો. તેના સલાહકારોમાંથી કોઈ પણ તે સ્વપ્નનો અર્થ બતાવી શક્યું નહી.
ઈશ્વરે યુસફને સ્વપ્નનો ભેદ પારખવાની શક્તિ આપી હતી માટે ફારૂને યુસફને કેદખાનામાંથી બહાર તેની પાસે બોલાવ્યો. યુસફ સ્વપ્નનો મર્મ જણાવતા તેને કહ્યું કે, ”ઈશ્વર ભરપૂર ફસલના સાત વર્ષો આપવાનો છે અને ત્યારબાદ દુકાળના સાત વર્ષો.”
ફારૂન યુસફથી ખૂબ જ પ્રભાવિત થયો અને તેણે તેને મિસરમાં બીજા દરજ્જાનો મુખ્ય માણસ ઠરાવ્યો !
યુસફે લોકોને કાપણીના સારા સાત વર્ષો દરમ્યાન ખોરાક માટે અનાજ ભેગું કરવાનું જણાવ્યું. ત્યારબાદ યુસફે તે દુકાળના સમય દરમ્યાન લોકોને વેચ્યું જેથી તેઓ પાસે પૂરતા પ્રમાણમાં ભોજન હોય.
આ દુકાળ ફક્ત મિસર માટે જ ભયંકર ન હતો, પણ કનાન કે જ્યાં યાકૂબ અને તેનું પરિવાર વસતુ હતું ત્યાં પણ તે એટલો જ ભયંકર હતો.
એટલે યાકૂબે તેના મોટા પુત્રોને અનાજ ખરીદવા માટે મિસર મોકલ્યા. તેના ભાઈઓ જ્યારે અનાજ ખરીદવા માટે યુસફ આગળ આવીને ઊભા રહ્યા હતા ત્યારે તેઓ યુસફને ઓળખી શક્યા નહીં. પરંતુ યુસફ તેમને ઓળખી ગયો.
તેમના ભાઈઓની પરીક્ષા કર્યા બાદ કે તેઓ બદલાઈ ગયા છે કે નહીં, યુસફે તેમને કહ્યુ, “હું તમારો ભાઈ યુસફ છું ! ગભરાશો નહીં. તમે જ્યારે મને ગુલામ તરીકે વેચી દીધો ત્યારે તમે ભૂડું કરવાનું ચાહ્યું, પરંતુ ઈશ્વરે તે ભૂંડાઈને સારા માટે ઉપયોગમાં લીધી છે ! તમે આવો અને મિસરમાં રહો કે હું તમારા અને તમારા પરિવારો માટે પૂરું પાડું.”
જ્યારે યુસફના ભાઈઓ ઘરે પાછા ફર્યા અને તેમના પિતા યાકૂબને કહ્યું કે, “યુસફ જીવે છે.” ત્યારે તે ખૂબ જ આનંદીત થયો.
જો કે યાકૂબ ઘણો વૃધ્ધ માણસ હતો. તે પોતાના પરિવાર સાથે મિસરમાં ગયો અને ત્યાં રહ્યો. યાકૂબ મૃત્યુ પામ્યો તે પહેલા તેણે તેના દરેક પુત્રોને આશીર્વાદ દીધા.
કરારના વચનો કે જે ઈશ્વરે ઈબ્રાહિમને આપ્યા હતા તે ઈસહાક પાસે આવ્યા અને ત્યારબાદ યાકૂબ પાસે અને યાકૂબ બાદ તેના બાર પુત્રો અને તેમના પરિવારો પાસે આવ્યા.
બાર પુત્રોના વંશજો બાર કુળ બન્યા.
બાઈબલની વાર્તા: ઉત્પતિ ૩૭-૫૦